નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, હવે અચાનક દેશના લગભગ 70 ટકા વિસ્તારમાં વરસાદી વાદળો ગાયબ થઈ ગયાં હોવાનું સેટેલાઈટ તસવીરોમાં સામે આવ્યું છે. આમ થવા પાછળનું કારણ ચક્રવાત હોવાનું માનવામાં આવે છે.
આ વખતે ચોમાસાને છેલ્લાં 5 વર્ષ કરતાં સમગ્ર દેશને આવરી લેવામાં વધુ સમય લાગ્યો છે. અગાઉ 2021માં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 3 જૂને કેરળમાં પ્રવેશ્યું અને 13 જુલાઈએ સમગ્ર દેશને આવરી લીધું હતું. આ વર્ષે, ચોમાસું સામાન્ય તારીખ કરતાં ત્રણ દિવસ મોડું 4 જૂને કેરળના કિનારે પહોંચ્યું. ત્યારબાદ, તેણે 9 જુલાઈએ સમગ્ર દેશને આવરી લીધો. આ સ્થિતિના પગલે અડધા ભારતમાં વરસાદની ખેંચ છે અને ખરીફ પાકની વાવણી 21 ટકા પાછળ છે.

