ભાવનગરઃ જિલ્લાના ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચાએ 20 ટકા વળતરની લાલચ આપી શેરબજારમાં રોકાણના નામે સિદસર, ફરિયાદકા અને ચિત્રાના 6 યુવકો સાથે રૂ. 93 લાખની ઠગાઈ આચરી હતી. પરંતુ આ આંકડો હવે રૂ. 300થી 400 કરોડને પાર જવાની શક્યતા છે. પોલીસની તપાસમાં જણાયું છે કે, આરોપી યોગેશ ધામેચા ભાજપનો સંગઠન મંત્રી છે.
બે માસથી ફરાર થઈ ગયા હતા
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ એક વ્યક્તિ પાસેથી મોટી રકમ મેળવી અન્ય વ્યક્તિને 20 ટકા વ્યાજ ચૂકવી રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા. ત્યાર બાદ કરોડો રૂપિયા એકત્ર કરીને અંદાજે બે માસથી ફરાર થઈ ગયા હતા. શરૂઆતમાં સાત રોકાણકારોની ફરિયાદના આધારે રૂ. 1,03,14,500ની છેતરપિંડી સામે આવી હતી. જો કે LCBની તપાસ દરમિયાન વધુ 8 રોકાણકારો આગળ આવતાં ફરિયાદની રકમ વધીને રૂ. 1.29 કરોડને પાર થઈ ગઈ છે. બીજી તરફ પીડિતોના દાવા મુજબ ધામેચા બંધુઓએ અંદાજે રૂ. 400 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. રાજકીય કનેક્શન અંગે પૂછતા યોગેશ જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી ભાજપમાં સંગઠન મંત્રી છે.

