વડોદરાઃ માંજલપુર વિધાનસભાની બેઠક પર ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ પેટાચૂંટણી યોજાવાની છે, જેમાં સ્થાનિક અને પાટીદારને જ ટિકિટની માગ વચ્ચે ભાજપ મોવડીમંડળે પાટીદાર ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. છાણીના સતિષ પટેલને માંજલપુર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
સુરતમાં પૂરની સ્થિતિના કારણે ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજીને ઉમેદવારની પસંદગી પર ચર્ચા કરવાના બદલે સીધી જ દિલ્હીથી પટેલના નામની ઘોષણા થઈ ગઈ હતી. સતિષ પટલે વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ તેમજ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે નિરીક્ષકોને પોતાનો બાયોડેટા આપીને કહ્યું હતું કે, પાર્ટી જેને તક આપે તે આવકાર્ય, પરંતુ મેં મારો દાવો રજૂ કર્યો છે. ઉમેદવારોની પસંદગી માટે 7 તારીખે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 105 દાવેદારોએ દાવેદારી કરી હતી. યોગેશ પટેલના નિધન બાદ પાટીદાર ચહેરાને અને સ્થાનિકને ઉમેદવાર બનાવવાની પ્રબળ માગ ઊઠી હતી.

