અમદાવાદઃ મહાત્મા ગાંધીની વિરાસત સાચવવામાં જીવનનો મોટાભાગનો સમય આપનારા રમણીકભાઈ ગોરધનદાસ તુરખિયાએ 13 સપ્ટેમ્બરે 100મા વર્ષમાં પ્રવેશ કર્યો. 13 સપ્ટેમ્બર 1927એ રાણપુરના લોહિયામાં જન્મેલા રમણીકભાઈએ રાજસ્થાનના બિયાવરમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું અને બનારસ યુનિવર્સિટીથી સાહિત્યમાં એમએ કર્યું. 1945માં તેઓ મુંબઈ આવ્યા, જ્યાં તેમનો પરિચય મોરારજી દેસાઈ સાથે થયો અને તેઓ ગાંધીજીના સંગ્રહાલય મણિભવનની કામગીરી સાથે જોડાયા.
1946માં મોરારજી દેસાઈ દિલ્હી ગયા ત્યારે રમણીકભાઈને પણ સાથે લઈ ગયા હતા. 1955માં તેઓ દિલ્હીના ગાંધીસ્મારક સંગ્રહાલયમાં વહીવટી કામગીરી સાથે જોડાયા અને બાદમાં સચિવ તરીકે જવાબદારી સંભાળી. તેમના કાર્યકાળમાં ગાંધીજીની વિરાસત સાથે જોડાયેલી અનેક દુર્લભ વસ્તુઓ સંગ્રહાલયમાં લાવવામાં આવી.
નાથુરામ ગોડસેની રિવોલ્વર અને ગોળી, ગાંધીજીની હત્યા સમયે તેમણે પહેરેલાં કપડાં તેમના પુત્ર દેવદાસ ગાંધી પાસેથી મેળવી સંગ્રહાલયમાં લાવ્યા હતા. ગાંધીજીના 8 હજાર પત્રોનો સંગ્રહ પણ તેમણે સંગ્રહાલય સુધી પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરારજી દેસાઈ સાથે કામ કરનાર તેઓ એકમાત્ર જીવિત વ્યક્તિ છે, જે હયાત છે.
