અમદાવાદ: વીમા અને શેરબજારમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા મિહિર પરીખ એન્ડ કંપની વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં વધુ બે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં એક સિનિયર સિટીઝન મહિલાનાં નાણાં એલઆઇસીમાં રોકવાનું કહીને તેમજ અન્ય એક વ્યક્તિને પણ એલઆઇસીની પોલિસી આપીને રૂ. 43 લાખ મળીને કુલ રૂ. 27 કરોડની છેતરપિંડી આચરાઈ હતી. મિહિર પરીખ અને તેના મળતિયાઓ વિરુદ્ધ અત્યાર સુધી રૂ. 100 કરોડ ઉપરાંતની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
નવરંગપુરામાં રહેતાં સોનલબહેન શાહની ફરિયાદ મુજબ તેમના પિતાના અવસાન બાદ માતા એકલાં હતાં. તેમની પાસે બચતનાં તેમજ તેમના પતિના આવેલાં સારા એવાં નાણાં હતાં. આ સમયે એમપી ગ્રૂપના નામે વ્યવસાય કરતો મિહિર પરીખે તેમને એલઆઇસીમાં રોકાણ કરવા જણાવ્યું હતું. જેથી વિશ્વાસ કરીને સોનલબહેનનાં માતાએ કટકે-કટકે રૂ. 25.16 કરોડ પ્રીમિયમ પેટે આપ્યા હતા. જેની સામે તેણે એલઆઈસીની પોલિસી કોપી અને પહોંચ પણ આપી હતી. જો કે માતાનું અવસાન થતાં મિહિર પરીખનું કારસ્તાન છતું થયું હતું.

