TMCના 22 સાંસદો ઉત્તર-પૂર્વની NCPમાં જોડાયા

ભવિષ્યમાં TMC પર દાવો કરે ત્યારે અસલ TMC કઈ એ કોર્ટ નક્કી કરશે

Wednesday 17th June 2026 06:29 EDT
 
 

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસમાં બળવા વચ્ચે પક્ષનાં 22 બળવાખોર સાંસદો નેશનાલિસ્ટ સિટિઝન પાર્ટી (એનસીપી)માં જોડાઈ ગયા છે. આ સાંસદો પૈકીના સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે તમામ બળવાખોર સાંસદો એનસીપીમાં જોડાઈ ગયા છે, જે માન્યતા ધરાવતો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. અમે તેમાં ભળી ગયા છીએ. ભવિષ્યમાં અમે ટીએમસી પર પણ દાવો કરીશું અને ત્યારે કોર્ટ નક્કી કરશે કે અસલ ટીએમસી કઈ છે? સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસીના બળવાખોર સાંસદોએ કોઈ પણ પ્રકારની કાનૂની અડચણથી બચવા માટે આ પગલું ભર્યું છે. હવે તેઓ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને સમર્થન આપશે. નેશનાલિસ્ટ સિટિઝન પાર્ટી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કાર્યરત છે અને આસામ, ત્રિપુરા, બંગાળમાં ઉપસ્થિતિ ધરાવે છે. તે ત્રિપુરાની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
સુદીપે ઉમેર્યું હતું કે, નિયમ એવો છે કે તમે પક્ષના બે-તૃતીયાંશ સાંસદો સાથે અલગ થાવ તો પહેલા જ દિવસે તે પક્ષનું નામ ન માગી શકો. અમે તૃણમૂલનું નામ અમને આપવાની જુલાઈમાં માગ કરીશું, કેમ કે અમારી પાસે પક્ષના બે તૃતિયાંશ લોકસભા સાંસદોની બહુમતી છે. ટીએસીના બળવાખોર સાંસદો રવિવારે દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને તેમના નિવાસે મળ્યા હતા, જે અંગે સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે, લોકસભા અધ્યક્ષે તમામ હસ્તાક્ષરોની પુષ્ટિ કરી. 20 હસ્તાક્ષર હતા. બળવાખોર જૂથનું નેતૃત્ત્વ કરી રહેલા ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે અગાઉ નવી દિલ્હી રવાના થતા પહેલાં કોલકાતા એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે, લોકસભામાં બળવાખોર સાંસદોનો આંકડો વધીને 22 સુધી પહોંચી ગયો છે. વધુ બે સાંસદો જલદી આ જૂથમાં સામેલ થવાના છે. જો કે તેમણે બળવાખોર બનેલા વધુ બે સાંસદોનાં નામ જાહેર કર્યા નહોતાં. તેમણે કહ્યું કે, તેઓ ઔપચારિક રીતે બળવાખોર જૂથમાં સામેલ થયા પછી જ તેમનાં નામ જાહેર કરશે.
મમતાના કેટલા સાંસદો બચ્યા?
19 બળવાખોર સાંસદોની સહીવાળા કથિત ડોક્યુમેન્ટ પર જે ટીએમસી સાંસદોની સહી નહોતી તેમાં અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી, સૌગત રોય, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ, શત્રુઘ્ન સિન્હા, પ્રતિમા મંડલ અને સજદા અહેમદનાં નામ સામેલ છે. હવે આ 8 સાંસદોમાંથી કયા બે સાંસદો બળવાખોર બન્યા છે તે જોવું રહ્યું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીની અંદર ઊભરેલા અસંતોષે પક્ષના નેતૃત્વ સામે એક નવો પડકાર ઊભો કર્યો છે. હવે સૌની નજર સોમવારે લોકસભા અધ્યક્ષ સાથે થનારી બેઠક અને ત્યાર પછીની રાજકીય ગતિવિધિઓ પર ટકેલી છે.


comments powered by Disqus