કોંગ્રેસના મલ્લિકાર્જુન, પવન ખેરા અને ભાજપના સતિષ પૂનિયા, તરુણ ચુગ બિનહરીફ વિજેતા

Wednesday 17th June 2026 06:29 EDT
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના મીડિયા સેલના વડા પવન ખેરા ઉપરાંત ભાજપના નેતાઓ સતિષ પૂનિયા અને તરુણ ચુગ સહિત 24 ઉમેદવારો ગુરુવારે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યસભાની 27 બેઠકોમાંથી 3 બેઠકો સિવાયની તમામ બેઠકોના પરિણામો નક્કી થઈ ગયાં છે, જેમાં 19 બેઠકો પર એનડીએના ઉમેદવારો અને બાકીની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
ઝારખંડની બે બેઠકો, જ્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે, અને મિઝોરમની એક બેઠક માટે 18 જૂને મતદાન થશે. 10 રાજ્યોમાં રાજ્યસભાની 24 બેઠકોની ચૂંટણી માટેના નામાંકન પત્રોની ચકાસણી ગુરુવારે હાથ ધરાઈ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ઓડિશા અને તામિલનાડુમાં એક-એક બેઠકની પેટાચૂંટણી માટે પણ ચકાસણી થઈ હતી. બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને સંબંધિત ચૂંટણી અધિકારીઓ દ્વારા વિજેતા હોવાના પ્રમાણપત્રો સોંપવામાં આવ્યાં હતાં. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે, જ્યાં ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં જેએમએમના બૈદ્યનાથ રામ, કોંગ્રેસ ઉમેદવાર પ્રણવ ઝા અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશમાં દ્વિવાર્ષિક ચૂંટણીમાં ચૂંટણી અધિકારીએ ભાજપના ત્રણેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જો કે કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજને તેમનું નામાંકન રદ થતાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જો કે કોર્ટે કહ્યું હતું કે, અમે ચૂંટણી પ્રક્રિયામાં દખલ ન આપી શકીએ. ભાજપના તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલ તેમજ ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવાર મહેશ કેવટ બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર કરાયું હતું. કર્ણાટકથી કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ખડગે, એઆઈસીસી સચિવ મન્સૂર અલી ખાન અને પવન ખેરા તેમજ ભાજપના એમ. નાગરાજા રાજ્યસભામાં સર્વાનુમતે ચૂંટાયા હતા.


comments powered by Disqus