ભરૂચઃ શહેરમાં દાઉદી વ્હોરા સમાજના એક પરિવારમાં એક મહિનાથી ચાલી રહેલા ગૃહકલેશનું લોહિયાળ પરિણામ આવ્યું છે. સસરાએ પહેલાં તબીબ પુત્રના નિવાસે જઈ પુત્રની ગેરહાજરીમાં પુત્રવધૂની ચપ્પુથી હત્યા કરી હતી. કોઠી રોડ પર પુત્રવધૂની હત્યા બાદ સસરો વ્હોરાવાડમાં રહેતા તેમના વેવાઈના ઘરે પહોંચ્યો હતો, જ્યાં વેવાણે દરવાજો ખોલતાંની સાથે તેની પર ચપ્પુથી હુમલો કરી કરપીણ હત્યા કરી નાખી હતી. પુત્રવધૂ અને વેવાણની હત્યા કર્યા બાદ સસરાએ વેવાણના ઘરમાં જ પોતાના ગળા તથા શરીરના ભાગે ચપ્પુના ઘા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હત્યા કરનારા સસરા જૈનુલ ઝનોરવાલાએ જણાવ્યું હતું કે, પુત્રવધૂ અલીફિયા તેમના પરિવાર અને તબીબ દીકરાને હેરાન કરતી હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું. તેમનો દીકરો ડો. યુસુફ ઝનોરવાલા BHMS ડિગ્રી ધરાવે છે.અને હોમિયોપેથી ડોક્ટર છે.

