પોરબંદરઃ પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ યોજાઈ. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરાઈ છે. વર્ષ 2047 સુધીમાં રાજ્યનાં બંદરોની કાર્ગો ક્ષમતાને 600 મિલિયન મેટ્રિક ટનથી પાંચ ગણી વધારીને 3000 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે, પોરબંદરમાં એક અત્યાધુનિક ‘શિપ બિલ્ડિંગ ક્લસ્ટર’ અને ‘ફર્નિચર પાર્ક’ની સ્થાપના માટેની કવાયત હાથ ધરાઈ છે.
આ પ્રસંગે વન-પર્યાવરણ અને સાયન્સ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વાપી-અમદાવાદ ગોલ્ડન કોરિડોરની સરખામણીએ અહીં જમીનની કિંમત ઘણી ઓછી છે, જેના લીધે સૌથી સસ્તી જમીન અને સસ્તા શ્રમિકો અહીં ઉપલબ્ધ છે. પવન અને સૌરઊર્જાનું હબ હોવાથી અહીં ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત પાવર સપ્લાય મળશે. કનેક્ટિવિટીના મામલે પોરબંદર અજોડ છે, જે 5 નેશનલ હાઇવે, બ્રોડગેજ રેલવે અને 9 મીટર ડ્રાફ્ટ ધરાવતા સમુદ્રી પોર્ટની સુવિધાથી સજ્જ છે, જ્યાં આગામી સમયમાં શિપ બિલ્ડિંગ અને રિપેરિંગની સુવિધા વધારાશે.
ફર્નિચર પાર્કની કેમ છે જરૂરિયાત?
ભારતમાં સૌથી વધુ ઇમ્પોર્ટેડ લાકડું અને તેને આધારિત ફર્નિચર સહિતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70 ટકા જેટલી હિસ્સેદારી એકલું ગુજરાત ધરાવે છે. દેશના કુલ ફર્નિચર માર્કેટમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ મધ્ય-પશ્ચિમ ભારતનું 26.40 ટકા બજાર છે, આમ સ્થાનિક ડિમાન્ડને પૂર્ણ કરવાની સાથે વિદેશોમાં પણ નિકાસ કરી શકાય તેવું વર્લ્ડ ક્લાસ ફર્નિચર ગુજરાતમાં જ ઉત્પાદિત થાય તેવા ઉદ્દેશ્યથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પોરબંદરમાં ફર્નિચર પાર્ક ડેવલપ કરવા આગળ વધી રહી છે.

