મને કહેશે તો હું ધારાસભ્યપદેથી અત્યારે જ રાજીનામું આપીશઃ ભગા બારડ

Wednesday 17th June 2026 05:56 EDT
 
 

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘જો અહીં બેઠેલા લોકો મને કહેશે તો હું અત્યારે જ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ.’ આમ ધારાસભ્યનો દબાયેલો અસંતોષ જાહેરમાં ફાટી નીકળ્યો હતો. તેમણે નામ લીધા વિના ભાજપના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે.
ભાજપમાં આંતરિક જૂથબંધી એટલી ચરમસીમાએ છે કે, ભાજપ ધારાસભ્યોનાં કામોમાં પણ ભાજપના જ લોકો અડચણ ઊભી કરી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ધારાસભ્ય ભગા બારડે સમર્થકોની હાજરીમાં આક્રોશ ઠાલવ્યો કે, ‘સરકારમાં મારાં કામ થવા દેવામાં આવતાં નથી, જાણીજોઈને બધાં જ કામો અટકાવી દેવાય છે.’
ભગા બારડે વિરોધીઓને આકરા શબ્દોમાં કહ્યું કે, ‘હું મારી રીતે કામ કરવા ટેવાયેલો છું. એ લોકો કહે એવી રીતે મારાથી કામ નહીં થાય.’ આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડને હવે કેસરિયો રંગ માફક આવી રહ્યો નથી. ભગા બારડનો ભાજપથી મોહભંગ થઈ ચૂક્યો હોય તેવું રાજકીય ચિત્ર ઊપસ્યું છે.


comments powered by Disqus