રાજકોટઃ શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે હતા, તે દરમિયાન તેઓ અચાનક જ લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે મળવા ગયા હતા. પટેલે ખોડલધામમાંથી 2027 પહેલા નિવૃત્ત થવાની જાહેરાત કરી હોવાથી સંઘવી સાથેની તેમની આ મુલાકાત રાજકારણમાં પ્રવેશના સંકેત આપે છે. જો કે કોંગ્રેસ તરફે કૂણું વલણ ધરાવતા નરેશ પટેલ ભાજપમાં જશે કે કેમ તેને લઇને ચર્ચા છે. અલબત્ત સંઘવી સાથે ગયેલા ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાળાએ કહ્યું કે, નરેશ પટેલ જેવી વ્યક્તિએ રાજકારણમાં આવવું જોઈએ. ટિલાળા પણ ખોડલધામના કાર્યકર છે અને તે કારણ જ તેમને ભાજપે ગઇ વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ આપી હતી. સંઘવી જાણીતા ગાયક ઓસમાણ મીરના ઘરે પણ પહોંચ્યા હતા. સંધવી રોડ-શો કરી રહ્યા હતા ત્યારે તેમણે પોલીસને રોકાવેલો ટ્રાફિક છૂટો કરવા આદેશ આપ્યા હતા.

