ભુજઃ હાલમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચેના તણાવને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) વિશ્વભરના સમાચારોમાં છવાયેલી છે. વૈશ્વિક તેલ પુરવઠાના 20 ટકા હિસ્સાનું વહન કરતા આ સાંકડા દરિયાઈ માર્ગ પર ઊભા થયેલા જોખમની સીધી અસર ઊર્જા સુરક્ષા પર પડી છે, પરંતુ આજે જે દરિયાઈ પટ્ટા પર મહાસત્તાઓ પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કરી રહી છે, તે જ હોર્મુઝના રૂટ પર સદીઓ પહેલાં કચ્છના વહાણવટીઓ અને માંડવીના વેપારીઓની સત્તા ચાલતી હતી.
ઇતિહાસનાં પત્તાંઓ ઉથલાવીએ તો સ્પષ્ટ થાય છે કે પર્શિયન અખાતનું આ પ્રવેશદ્વાર કચ્છીઓ માટે ક્યારેય અજાણ્યું નહોતું. અહીં બ્રિટિશ આર્કાઇવ્ઝ અને દરિયાઈ ઇતિહાસના એવા 3 સત્તાવાર પુરાવાઓ છે, જે હોર્મુઝ અને ગ્વાદર પર કચ્છનું ઐતિહાસિક જોડાણ સાબિત કરે છે
શેઠ ધનજી મોરારજીનો 1790નો વેપારી રૂટ
ઓમાન-ઇન્ડિયાના દરિયાઈ સંબંધો પરના દસ્તાવેજો (‘Dates and pearls form bedrock of ancient ties’)માં માંડવીના એક અગ્રણી વેપારી પરિવારના પ્રવાસો નોંધાયેલા છે.1790 ના દાયકામાં માંડવીના શેઠ ધનજી મોરારજીનાં વહાણો આફ્રિકાના ઝાંઝિબાર જતા પહેલાં કચ્છ, કરાચી, ગ્વાદર અને હોર્મુઝ બંદર અનહામુઝ પર રોકાતાં અને ત્યાં મોટાપાયે વેપાર કરતાં હતાં.
હોર્મુઝનું પતન અને ભારતીય વેપારીઓ
પર્શિયન અખાતના ઇતિહાસ (‘Indian Communities in the Persian Gulf, c. 1500-1947’) મુજબ હોર્મુઝ બંદરના નિર્માણ અને સંચાલનમાં ભારતીયોનો મોટો ફાળો હતો. 1622માં જ્યારે હોર્મુઝ પર ઇરાની અને અંગ્રેજ દળોએ હુમલો કર્યો, ત્યારે વસવાટ કરતા વેપારીઓ મુખ્યત્વે કચ્છ, સિંધ અને ગુજરાતના હતા. 17મી સદીમાં જ હોર્મુઝમાં કચ્છીઓએ મોટી વસાહતો ઊભી કરી હતી.
દિશાસૂચન અને વહાણવટું
કચ્છી ખલાસીઓ અને નાખુદાઓ દરિયાઈ મોસમી પવનોની મદદથી હોર્મુઝ અને અરબસ્તાનના અખાતમાં નેવિગેશનની આધુનિક તકનિકોનો ઉપયોગ કરતા. 16મી સદીમાં પોર્ટુગીઝોના આગમન પછી પણ હોર્મુઝ તથા મસ્કતમાં કચ્છી અને ગુજરાતી વેપારીઓનો દબદબો રહ્યો હતો. વર્ષ 1540ના દાયકામાં હોર્મુઝની કુલ કસ્ટમ આવકનો લગભગ 46 ટકા હિસ્સો ભારતીય આયાત પરથી આવતો હતો, જેમાં કચ્છી વેપારીઓ મુખ્ય હતા.

