લંડનઃ કરુણા દર્શાવતા સ્વ. કેતન પટેલની આંખોનું દાન કરવામાં આવ્યું જેથી અંધત્વમાં જીવી રહેલા વ્યક્તિને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. કેતન પટેલના નિધન બાદ લાયન્સ ક્લબ ઓફ નકુરુ દ્વારા ચક્ષુદાન માટે પરિવારનો સંપર્ક કરાયો હતો. પરિવારની સહમતિ પ્રાપ્ત થયા પછી લાયન્સ લોરિશો આઇ હોસ્પિટલની સ્પેશિયાલિસ્ટ ટીમ નૈરોબીથી નકુરુ પહોંચી હતી જેથી આ નાજુક પ્રક્રિયા હાથ ધરી શકાય.
આધુનિક મેડિકલ ટેકનોલોજીના કારણે સ્વ. કેતન પટેલના દાન કરાયેલા કોર્નિયા દ્વારા અંધ વ્યક્તિઓને દ્રષ્ટિનું દાન મળશે. તેમને ન કેવળ દ્રષ્ટિ મળશે પરંતુ આશા અને અંધકારમાંથી આઝાદી પણ મળશે.
લાયસન્સ કોમ્યુનિટી ચક્ષુદાનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. જ્યારે પણ કોઇ હિન્દુ વ્યક્તિનું નિધન થાય છે ત્યારે પ્રતિબદ્ધ સ્વયંસેવક એવા લાયન ડો. હરિયા, લાયન મિશાલ, લાયન અરુણ અને લાયન શૈલેષ દ્વારા પરિવારોનો સંપર્ક કરી તેમને કોર્નિયા ડોનેશનનું મહત્વ સમજાવવામાં આવે છે. જેથી તેમના પ્રિયજનની દ્રષ્ટિનો વારસો જરૂરીયાતમંદ વ્યક્તિના જીવનમાં પ્રકાશ રેલાવી શકે.

