સુરતઃ શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતકની દીકરીએ ઉમરા પોલીસમાં અરજી કરી સ્કૂલ પ્રિન્સિપાલ મહિલા પિતાને યેનકેન પ્રકારેણ બ્લેકમેલિંગ કરતી હોવાનો સંગીન આરોપ મૂકતાં ચકચાર મચી છે. મેન્ટલી અને ફાઇનાન્સિયલી ટોર્ચરિંગના કારણે જ તુષાર ઘેલાણી દીકરીનાં લગ્ન સમયે લમણે ગોળી મારી સ્યૂસાઇડ કરવા મજબૂર થયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મળતી વિગતો પ્રમાણે શહેરના મોટાગજાના બિલ્ડર તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરીએ ઘરમાં દીકરી તન્વીના લગ્નની ધામધૂમ અને કંકોત્રી લખવાના પ્રસંગ ટાણે જ તુષાર ઘેલાણીએ લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ હાઇપ્રોફાઈલ કેસમાં બિલ્ડરઆલમ અને પાટીદાર વર્તુળમાં પણ જાતની જાતની વાતો વહેતી થઈ હતી.
દરમિયાન ગત ગુરુવારે સાંજે તુષાર ઘેલાણીની દીકરી તન્વીએ પોશ વિસ્તારમાં આવેલી ઘેલાણીની સ્કૂલનાં મહિલા પ્રિન્સિપાલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જે મુજબ મહિલા ઘણાં વર્ષોથી તુષાર ઘેલાણીના પરિચયમાં હતી. નોન ગુજરાતી આ મહિલા સાથે તુષાર ઘેલાણીના નિકટના સંબંધો હતા અને વારંવાર તેઓ એકબીજાને મળતાં અને મોબાઈલ પર નિયમિત સંપર્કમાં રહેતાં હતાં. અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ મહિલા મેન્ટલી હેરેસમેન્ટ કરવા સાથે વારંવાર નાણાં માગીને પણ બ્લેકમેઇલ કરતી હતી. દીકરીના લગ્નપ્રસંગમાં આવી ફજેતો કરવાની ધમકી પણ મહિલાએ આપી હતી. આખરે સમાજના ડરે તુષારે આપઘાત કર્યો હતો. અરજી મુજબ મહિલાએ તુષારને રૂ. 6 કરોડની જોલી પ્રોજેક્ટની પ્રોપર્ટી રૂ. 1 કરોડમાં ખરીદવા મનાવ્યા હતા, જે પેમેન્ટ તુષારે ચૂકવ્યું નહોતું.

