વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિને શ્રીલંકામાં ધાર્મિક પ્રદર્શનના ભાગરૂપે કોલંબોના ગંગારામાયા મંદિરમાં દર્શન માટે મુકાયાં હતાં, જેનાં 12 લાખ ભક્તોએ દર્શન કર્યાં હતાં.
પ્રદર્શન બાદ ભગવાન બુદ્ધના અસ્થિ ગુરુવારે સંપૂર્ણ સન્માન સાથે વડોદરા પરત લવાયા છે અને તેને ફરી આર્કિયોલોજી વિભાગના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે. અસ્થિ પરત લેવા શ્રીલંકા ગયેલા પ્રતિનિધિમંડળમાં આર્ટ્સ ફેકલ્ટીનાં ડીન પ્રો. કલ્પના ગવલીએે કહ્યું હતું કે, અમે વિચાર્યું નહોતું તેટલી સંખ્યામાં માનવમહેરામણ દર્શન કરવા ઊમટ્યો હતો. અસ્થિનાં દર્શન 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યાં હતાં, છતાં એટલો ધસારો હતો કે મંદિર બહાર દર્શન માટે ભાવિકોની 3 કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી. માત્ર શ્રીલંકા જ નહીં પણ થાઇલેન્ડ, કમ્બોડિયા, મલેશિયા, બર્મા જેવા દેશોથી પણ ભાવિકો દર્શન કરવા આવ્યા હતા.

