વલ્લભવિદ્યાનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ દ્વારા ડેરીક્ષેત્રને નવી દિશા આપતાં અમૂલ એઆઇનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમૂલ એઆઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરીક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન બનશે. રાજ્યના 18,500થી વધુ ગામમાં 39 લાખ દૂધ ઉત્પાદકોને સમાવતી વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાની ડેરી અમૂલને સહકાર ક્ષેત્રે સ્માર્ટ બનાવતી અમૂલ એઆઇનો પ્રારંભ કાર્યક્રમ આણંદમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દેશમાં શરૂઆત કરાવી ત્યારે સૌને સવાલ હતો કે કેવી રીતે સફળ થશે. આજે ભારત યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર બન્યું છે. સરકાર, સહકાર અને ટેક્નોલોજીના ત્રિવેણી સંગમથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી ગઈ છે, જે હવે એઆઇ વધુ સંગીન બનાવશે.

