અમદાવાદઃ પશ્ચિમ એશિયામાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના પગલે સર્જાયેલી વૈશ્વિક કટોકટી અને હોર્મુઝની ખાડીમાં અટવાયેલાં જહાજો વચ્ચે ભારત માટે મોટા રાહતના સમાચાર છે. ભારે રાજદ્વારી વાટાઘાટો બાદ ઇરાને લીલીઝંડી આપતાં કતારથી રવાના થયેલું જાયન્ટ LPG જહાજ ‘શિવાલિક’ સોમવારે સાંજે 5 વાગ્યે મુન્દ્રા પોર્ટ પર સુરક્ષિત રીતે લાંગર્યું છે. આ જહાજમાં કુલ 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો રહેલો છે. જેમાંથી 20,000 મેટ્રિક ટન LPG ગેસ મુન્દ્રા પોર્ટ પર અનલોડ કરાઈ રહ્યો છેસ જેનાથી 32 લાખ ગેસ સિલિન્ડર ભરી શકાશે.
હોર્મુઝ ક્ષેત્રમાં હાલમાં 22 ભારતીય જહાજો ફસાયેલાં છે. તેમાં 6 LPG કેરિયર્સ, 1 LNG ટેન્કર, 4 ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 કેમિકલ પ્રોડક્ટ્સ કેરિયર, 3 કન્ટેનર જહાજો અને 2 બલ્ક કેરિયર્સનો સમાવેશ થાય છે. ફસાયેલાં ભારતનાં 6 જહાજોમાં 3 લાખ મેટ્રિક ટન LPGનો છે. દરમિયાન બે ભારતીય ધ્વજવાળા LPG ટેન્કર, ‘શિવાલિક’ મુન્દ્રા ખાતે અને ‘નંદા દેવી’ મુંબઈ ખાતે પહોંચી ચૂક્યાં છે. આ જહાજો આશરે 92,700 મેટ્રિક ટન LPG લઈને નીકળ્યાં હતાં.

