અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે વિકાસના નામે કરવામાં આવેલા કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊઠ્યા છે. ગામના પરા વિસ્તારને જોડવા માટે લામધાર નદી પર રૂ. 5 લાખના ખર્ચે બનાવવામાં આવેલો નવો પુલ માત્ર 10 દિવસમાં જ ધરાશાયી થઈ ગયો છે. પંચાયત દ્વારા તૈયાર કરાયેલો આ પુલ અચાનક બેસી જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પુલની કામગીરી દરમિયાન હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું અને યોગ્ય દેખરેખ રાખવામાં આવી નહોતી. પુલ નજીક માટીકામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક પુલ બેસી ગયો હતો. જો યોગ્ય અને મજબૂત રીતે કામ કરવામાં આવ્યું હોત તો આ પુલ આટલી વહેલી તકે ધરાશાયી ન થયો હોત. આ ઘટના બાદ ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને કામમાં બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

