નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધતા સંકટ વચ્ચે ભારતે કૂટનીતિક સ્તરે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર વાતચીત કરી અને વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી. બંને નેતા વચ્ચેની આ સીધી વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે મધ્ય-પૂર્વ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ પ્રવર્તી રહી છે અને વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે.
વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત માટે જરૂરી સામાન અને ઊર્જાની સપ્લાય જાળવવી મહત્ત્વપૂર્ણ છે. હાલમાં ભારત દરેક સંભવિત પગલાં લઈ રહ્યું છે, જેથી દેશની આર્થિક જરૂરિયાતો પર કોઈ નકારાત્મક અસર ન પડે.

