વડોદરાઃ અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ વચ્ચે લાખો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે, ત્યારે વડોદરાના સંદીપ પટેલ કંપનીના કામથી બહેરીન ગયા હતા અને 15 દિવસે પરત ફર્યા છે. સંદીપભાઈ બહેરીનમાં 12 દિવસ રોકાયા હતા અને ત્યાંની ભયાવહતાથી ડરી ગયા હતા. તેમણે કહ્યું કે, મને લાગતું નહોતું કે હું જીવતો ભારત પરત આવી શકીશ નહીં. મારી કંપનીએ મને પરત લાવવા તમામ પ્રયાસ કર્યા અને ઘરે પરત લાવી, બાકી ભારત સરકારે કોઈ પ્રયાસો કર્યા નથી.
સંદીપ પટેલે જણાવ્યું કે, ગત 25 ફેબ્રુઆરીએ હું જ્યાં કામ કરું છું, એ કંપનીના કામ માટે બહેરીન ગયો હતો. મારું કામ 28 ફેબ્રુઆરીએ કામ પૂરું થતાં સાંજે મારી પરત આવવાની ફ્લાઇટ હતી, પરંતુ તે દિવસે સવારે 10:30 વાગ્યાથી જ અમેરિકા અને ઇરાન વચ્ચે મિસાઇલ હુમલા શરૂ થઈ ગયા હતા. આ મુશ્કેલ સમયમાં મારી કંપનીએ મને જોખમ ઉઠાવી બહેરીનથી સાઉદી અરેબિયા બાય રોડ મોકલ્યો. સાઉદીના દમ્મામ પહોંચ્યા બાદ 3 દિવસ જેદ્દાહ અને ત્યારબાદ અમદાવાદ થઈ વડોદરા પહોંચ્યો હતો.

