રાપરઃ વાગડના પાણીથી વંચિત પ્રાંથળ વિસ્તારમાં દિવાળી સુધીમાં નર્મદાનાં વધારાનાં પાણીની યોજના શરૂ થઈ જતાં ખેતરે ખેતરે નર્મદાનાં નીર પહોંચશે, તો ભીમાસરથી ભચાઉ સુધીના કમાન્ડ એરિયામાં ન આવતાં ગામોને પણ ટૂંક સમયમાં નર્મદાનાં નીર મળશે. જાટાવાડા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને રૂ. 3.75 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે આ અંગેની જાણકારી વાગડના જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકીએ આપી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકીએ જણાવ્યું કે, ધારાસભ્યના સક્રિય પ્રયાસોથી સરાણ જળાશય યોજના દિવાળી પહેલાં કાર્યરત્ થઈ જશે, તો જિલારવાંઢનો રોડ, જાટાવાડા ડેમનું કામ, 42 ગામને નર્મદાનાં નીર પહોંચાડવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.

