ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાત્રે તાત્કાલિક અસરથી આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતના નાસિરનગર વિસ્તારમાં કરાયેલી ડિમોલિશન કામગીરીનો મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો, જેમાં હાઈકોર્ટે તંત્રની કાર્યવાહી સામે કડક વલણ અપનાવી ટીકા કરી હતી. આ કિસ્સાના પગલે સરકારે આ બદલીનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. ઓર્ડર મુજબ, સુરત કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમારને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

