મોરારિબાપુ અને ચિત્રકૂટધામના સહયોગથી તલગાજરડા સ્માર્ટ સોલાર વિલેજ બન્યું

Wednesday 19th August 2026 06:05 EDT
 
 

તલગાજરડાઃ એમની રામકથાઓમાં મોરારિબાપુ કહેતા રહે છે કે, ‘રામકથા કેવળ વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ બનવી જોઈએ.’ આ સૂત્રને ચરિતાર્થ કરવું હોય તેમ બાપુ દ્વારા અને શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી લોકોપયોગી કર્યો થતાં રહે છે. બાપુનાં કેન્દ્રમાં સમાજની છેવાડાની વ્યક્તિ રહે છે. જે વંચિત છે, જે અસક્ષમ છે, જે અભાવગ્રસ્ત છે તેમના તરફ બાપુની સંવેદના વિશેષ રહે છે. એમની રામકથામાં બાપુ સૌને પોતાની આવકનો દસમો હિસ્સો સમાજ માટે, છેવાડાની વ્યક્તિ માટે અલગ કરવાની અપીલ કરે છે. થોડા સમય પહેલા સુરતના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ (શંકર, લાઠી) એ બાપુ પાસે એવો ભાવ વ્યક્ત કર્યો કે તલગાજરડા ગામના લોકો માટે મોટી રકમનું અનુદાન આપવું છે. બાપુએ કહ્યું કે એ રકમમાંથી આપણે સમગ્ર તલગાજરડા ગામમાં સોલાર પેનલ લગાવીએ. આમ તલગાજરડા ગામના વિકાસમાં બાપુ અને
શ્રી ચિત્રકૂટધામ દ્વારા વિકાસનું એક નૂતન સોપાન શરૂ થયું.
આજે સમગ્ર ગામમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે જેને કારણે લોકોના વિદ્યુત બિલમાં બહુ મોટો ફર્ક પડવા લાગ્યો છે ! આ કાર્યને પીજીવીસીએલનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ રીતે બાપુમાં આશિષ અને શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટના સમાજોપયોગી અભિગમને કારણે ગ્રીન એનર્જી, પર્યાવરણની સુરક્ષા અને સૌર ઊર્જાનાં ક્ષેત્રમાં પણ બહુ મોટું યોગદાન આપવામાં આવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષો પહેલાં બાપુ દ્વારા નિર્મળ ગામ યોજના હેઠળ ઘેર ઘેર શૌચાલય બનાવી આપવામાં આવ્યા હતા. વધતી જતી ગ્રીન હાઉસ ઇફેક્ટને બેલેન્સ કરવા તલગાજરડા ગામના વિવિધ વિસ્તારોમાં 10,000 જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે.


comments powered by Disqus