લાલકિલ્લા બોમ્બ વિસ્ફોટમાં અલ કાયદાનો હાથ હતોઃ UN રિપોર્ટ

Wednesday 19th August 2026 06:04 EDT
 
 

નવીદિલ્હીઃ 10 નવેમ્બર 2025માં લાલકિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે યુએન દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, આ હુમલા પાછળ અલકાયદા સાથે સંકળાયેલા સંગઠનનો હાથ હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના 38મા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
અહેવાલ મુજબ અલકાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) એ આ વિસ્ફોટને અંજામ આપ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, AQIS હવે નાના-નાના સેલ દ્વારા કામ કરી રહ્યું છે અને તેણે પોતાનું લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સિયલ નેટવર્ક પણ તૈયાર કરી લીધું છે.
આ પહેલાં આવેલ UNSCના 37મા રિપોર્ટમાં એક સભ્ય દેશે આ હુમલા પાછળ જૈશ-એ-મોહંમદ (JeM) નો હાથ હોવાનું જણાવ્યું હતું. એટલે કે આ હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સતત બે અહેવાલોમાં બે અલગ-અલગ આતંકી સંગઠનોનાં નામ સામે આવ્યાં છે. જો કે NIA ની ચાર્જશીટમાં દાવો કરાયો હતો કે આરોપીઓ AQIS સાથે સંકળાયેલા હતા.
AQISના બાંગ્લાદેશમાં પણ આતંકી સેલ બનાવવા પ્રયાસ
UNSCની એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેંક્શન્સ મોનિટરિંગ ટીમનો આ રિપોર્ટ સોમવારે જાહેર કરાયો. તેમાં કહેવામાં આવ્યું છે કે AQIS હવે વિખરાયેલાં નાનાં આતંકી સંગઠન કરતાં એક પ્રાદેશિક આતંકી નેટવર્ક તરીકે વિકસિત થઈ ચૂક્યું છે. સંગઠને પોતાનું લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સિયલ નેટવર્ક તૈયાર કરી લીધું છે અને હવે મોટાં જૂથોને બદલે નાના-નાના, અલગ-અલગ સેલ દ્વારા કામ કરી રહ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AQIS બાંગ્લાદેશમાં પણ પોતાના આતંકી સેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટમાં તેને પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવવામાં આવ્યો છે.


comments powered by Disqus