વિકસિત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Wednesday 19th August 2026 06:06 EDT
 

અમરેલીઃ દેશભરમાં અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
ધ્વજવંદન બાદ રાજ્યજોગ સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત જ અગ્રસર રહીને લીડ લેશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને આધ્યાત્મિકતાની સાથે વિકાસ અને વિરાસતના સંગમને વિકસિત ગુજરાતનો મુખ્ય આધાર બનાવ્યો છે. આજે સમગ્ર વિશ્વ એક નવી આશા સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ ગરીબો, યુવાનો, અન્નદાતા ખેડૂતો અને નારીશક્તિને વિકસિત ભારતના મજબૂત સ્તંભ અને વિકસિત ભારત-2047ના શિલ્પકાર ગણાવ્યા હતા. જે અંતર્ગત ખેડૂતોને વીજળી અને પર્યાવરણ જાળવણીની સાથોસાથ ગુજરાતનાં બંદરોને સમૃદ્ધિના પ્રવેશદ્વાર બનાવ્યા છે. તો 16 લાખથી વધુ ગરીબ પરિવારોને આવાસની સાથે આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવાઈ છે.


comments powered by Disqus