ભાવનગરઃ મહુવાના તલગાજરડા ગામે મકરસંક્રાંતિ અવસરે શિક્ષણ, સંસ્કાર અને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. મોસરિબાપુના વરદ્હસ્તે તથા રાજ્યના કૃષિમંત્રી જિતુ વાઘાણીની હાજરીમાં રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને પ્રતિષ્ઠિત ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તે આજીવન શિક્ષક જ રહે છે.
આ અવસરે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ કરાયેલા દરેક જિલ્લાના એક-એક તેમજ નગરપાલિકાના શ્રેષ્ઠ શિક્ષકો મળી કુલ 36 શિક્ષકોને તેમની શૈક્ષણિક સેવાઓ બદલ સન્માનપત્ર અપાયું હતું. તલગાજરડામાં નવનિર્મિત કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ પણ મોરારિબાપુ અને કૃષિમંત્રી જિતુ વાઘાણીના હસ્તે કરાયુંું હતું.
કાર્યક્રમને સંબોધતાં મોરારિબાપુએ જણાવ્યું કે, દરવર્ષે અપાતા ‘ચિત્રકૂટ એવોર્ડ’ દ્વારા નિવૃત્ત તથા કાર્યરત્ શિક્ષકોના યોગદાનને સન્માનિત કરાય છે, જે શિક્ષણજગત માટે ગૌરવની વાત છે. પાઠ્યક્રમની સાથે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ જેવા ‘પંચમહાભૂત’નું જ્ઞાન આપવું પણ જરૂરી છે.

