અક્ષય તૃતીયાના શુભ અવસર પર રવિવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા ત્યારે ત્યાં હાજર આશરે 10 હજાર શ્રદ્ધાળુઓની આંખોમાં ખુશી અને આસ્થા છલકાઈ ઉઠી. ગયા વર્ષે આવેલી ધરાલી આપત્તિના ઘા પાછળ મૂકીને દેવભૂમિ ફરી એકવાર યાત્રાળુઓના સ્વાગત માટે તૈયાર દેખાઈ. આ સાથે જ ચારધામ યાત્રાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. બંને ધામોમાં પ્રથમ પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી.
શ્રદ્ધાળુઓને મંદિર પ્રવેશ પહેલાં પવિત્ર ‘પંચામૃત' આપવામાં આવ્યું. સવારે માં ગંગાની ઉત્સવ ડોલી ભૈરવ મંદિરથી ગંગોત્રી પહોંચી અને બપોરે 12:15 વાગ્યે કપાટ ખોલવામાં આવ્યા. બીજી તરફ, ખરસાલીથી મા યમુનાની ડોલી યમુનોત્રી ધામમાં પ્રવેશી અને બપોરે 12:35 વાગ્યે યમુનોત્રીના દ્વાર પણ ખોલી દેવામાં આવ્યા હતા.

