ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ મુદ્દે સડકથી સંસદ સુધી હંગામોઃ રાહુલની અટકાયત અને મુક્તિ

Tuesday 21st July 2026 16:40 EDT
 
 

નવી દિલ્હીઃ સોમવારનો દિવસ રાજધાની દિલ્હી અને દેશ માટે ઘટનાસભર રહ્યો હતો. નીટ પેપર લીક અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શન અને વિપક્ષોના હંગામાને કારણે સડકથી સંસદ સુધીનો વિસ્તાર રણમેદાન બની ગયો હતો. સીજેપીએ માર્ગો પર મોરચો માંડ્યો હતો તો ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષોએ સંસદને સમરાંગણમાં ફેરવી દીધી હતી.
કોક્રોચ પાર્ટીની સંસદ કૂચ હિંસક બની હતી, જેને વિખેરવા પોલીસે ટિયરગેસનો મારો ચલાવી લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસનો આક્ષેપ છે ,કે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે સ્થિતિ વણસી હતી.
કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન
સોમવારના સીજેપીના પ્રદર્શન બાદ મંગળવારે વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ આવી હતી, જેણે પ્રધાનમંત્રી આવાસ માર્ચ કરી ધરણાં પ્રદર્શન કર્યું. જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.
પ્રધાનમંત્રી આવાસની સામે ધરણાં કરાતાં તમામ કોંગ્રેસી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસી નેતાઓએ પોલીસ સાથે ધક્કામુક્કી કરી રાહુલ સુધી તેમને પહોંચતા અટકાવ્યા હતા, જેથી આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ સમયે રાહુલ ગાંધી જમીન પર સૂઈ જતાં 12થી વધુ પોલીસ કર્મચારીઓ તેમને ટિંગાટોળી કરીને લઈ ગયા હતા.
પ્રદર્શન દરમિયાન રાહુલે આક્ષેપ કર્યો હતો કે, સરકારે નીટની પરીક્ષાના પેપરલીક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે બર્બરતા આચરી, પરંતુ તેની જવાબદારી લેવા તૈયાર છે, અને સંસદમાં ચર્ચા કરાવવા પણ ઇચ્છતા નથી. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરવા પર રાજીનામું આપવું જોઈએ.


comments powered by Disqus