બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનારાનું એન્કાઉન્ટર

Tuesday 21st July 2026 14:21 EDT
 
 

આણંદઃ વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ અને નિર્મમ હત્યા કેસના આરોપી સુરેશ પરમારને પોલીસે આત્મ રક્ષણ કરતાં ઠાર કરાયો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની બોચાસણથી ધરપકડ કરાયા બાદ LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી. આ સમયે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુથી હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.
જાપ્તા પોલીસની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વબચાવમાં સરકારી પિસ્તોલથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ આરોપી સુરેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીએ પુરાવાનો નાશ કરવા બાળકીને રેલવેટ્રેક પર ફેંકી દેતાં માસૂમની લાશના ત્રણ કટકા થઈ ગયા હતા. પેનલ ડોક્ટર્સ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મની પૃષ્ટિ થઈ છે. આરોપી સુરેશ પરમાર વિરુદ્ધ અગાઉ પણ આણંદ રૂરલ પોલીસ સ્ટેશને દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધાયેલો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વરસાદમાં શ્રમજીવી પરિવાર ઝૂંપડું તૂટી જતાં છેલ્લા કેટલાક સમયથી તે વાસદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં આશરો લઈ રહ્યો હતો. 18 જુલાઈએ રાત્રે આ પરિવારની બે બાળકી મુસાફરખાનામાં સૂઈ રહી હતી. તે દરમિયાન પિતા અને માતા કોઈ કામથી સ્ટેશનની બહાર ગયાં હતાં. આ દરમિયાન માતા-પિતાની ગેરહાજરી અને બાળકીઓની એકલતાનો લાભ ઉઠાવી આશરે 30 વર્ષનો આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને સાડા ચાર વર્ષની બાળકીને ખભે ઊંચકીને નાસી છૂટ્યો હતો.


comments powered by Disqus