સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર 7 ખરડા રજૂ કરશેઃ વંદે માતરમ અંગે પણ બિલ

Tuesday 21st July 2026 16:43 EDT
 
 

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર માટે સરકારે પોતાનો એજન્ડા નક્કી કરી દીધો છે. લોકસભામાં કુલ 7 વિધેયકો રજૂ કરાશે, જેમાં વંદે માતરમના અપમાન અને વિદેશી દાન (FCRA) કાયદામાં સુધારા સંબંધિત વિધેયકોનો પણ સમાવેશ થાય છે. હાલમાં જાહેર કરાયેલી અસ્થાયી યાદીમાં સીમાંકન અથવા મહિલા અનામત સંબંધિત કોઈપણ બંધારણીય સુધારા વિધેયકનો ઉલ્લેખ કરાયો નથી.
13 ઑગસ્ટ સુધી ચાલનારા આ મોન્સૂન સત્ર દરમિયાન કોંગ્રેસ સહિતના વિપક્ષો NEET-UG પેપર લીક, અન્ય ભરતી પરીક્ષામાં થયેલી ગેરરીતિ, અયોધ્યા રામ મંદિર દાનવિવાદ, E20 ઇંધણ અને વિદેશનીતિ જેવા મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.
25 દિવસ ચાલનારા આ સત્રમાં કુલ 19 બેઠકો યોજાશે, જેના મુદ્દા અગાઉથી રજૂ થઈ ચૂક્યા છે. વિદેશી દાન સંબંધિત વિધેયક 25 માર્ચે અને શિક્ષા અધિષ્ઠાન બિલ 15 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરાયાં હતાં. શિક્ષણ સંબંધિત વિધેયકને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલી દેવાયો હતો. આવકવેરા વિધેયક, 2026 અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા સંબંધિત વિધેયક હાલના વટહુકમોનું સ્થાન લેશે. જન્મ-મૃત્યુ નોંધણી, વંદે માતરમના અપમાન અને MSME સંબંધિત ત્રણ નવા વિધેયકો પ્રથમ વખત રજૂ કરાશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, સંસદમાં રામમંદિર દાનવિવાદ, NEET અને પરીક્ષા પ્રણાલી સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા અપાશે. તેમણે આક્ષેપ કર્યો છે કે, શિક્ષણમંત્રી શિક્ષણ વ્યવસ્થાને સંભાળવામાં નિષ્ફળ રહેતાં યુવાનોના ભવિષ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. મંગળવાર સુધી સંસદના કોઈ સત્રમાં વિરોધના પગલે કોઈ ફળશ્રુતિ નીકળી શકી નથી.


comments powered by Disqus