ભાવનગરઃ એક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના -કોવાયા ગામે સિંહના હુમલામાં યુવકનું મોત થયું, જેના બીજા જ દિવસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ આવી જ ઘટના બની. જ્યાં મહુવા નજીક શ્રમિક યુવકને સિંહે ફાડી ખાધો છે. આ ઘટનામાં પણ યુવકનું માત્ર માથું જ મળ્યું છે. ઘટના બાદ વનવિનભાગના પાંજરામાં એક સિંહણ પુરાઈ છે.
મહુવાના ગઢડા ગામનો યુવાન નાગજી ગુજરિયા મજૂરી કામ કરીને ઘરે જતો હતો, ત્યારે રાત્રીના સમયે પિંગલેશ્વર મહાદેવ નજીક બાઇક બંધ પડતાં તે બાઇક દોરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક બાવળની ઝાડીમાંથી આવીને સિંહે તેના પર હુમલો કર્યો અને તેમને જંગલમાં ખેંચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ સાથે જ વનવિભાગને જાણ કરાતાં અધિકારીઓ અને કર્મચારીઓના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન બાવળની ઝાડીઓમાંથી મૃતકના કપડાં તેમજ મૃતદેહના અવશેષો મળ્યા હતા.

