ગાંધીનગરઃ ગુજરાતમાં ચિત્તાની એન્ટ્રી પહેલાં વનવિભાગે આગોતરું આયોજન કર્યું છે. કચ્છ જિલ્લામાં બન્નીના ઘાસિયા પ્રદેશ ખાત 660 હેક્ટર જમીન ઉપર ચિત્તાના સંવર્ધન માટે એસ્ક્લોઝર તૈયાર થયું છે, તેની નજીક બન્નીમાં જ 20 હજાર હેક્ટર જગ્યા એટલે કે હયાત એસ્ક્લોઝર કરતાં 30 ગણી વધુ જમીન ચિત્તાના ભવિષ્યના કાયમી રહેણાક માટે અલગ તારવાઈ છે, જે દૂરંદેશી વ્યવસ્થા બન્નીના ચિત્તા સંવર્ધન કેન્દ્રને દેશમાં કૂનો નેશનલ પાર્ક પછી બીજા નંબરનું ચિત્તાનું વિશાળકાય ઘર બનાવશે. જો કે મધ્યપ્રદેશમાં કૂનો નેશનલ પાર્કનો એરિયા તો ઘણો બહોળો છે, જેનો કુલ વિસ્તાર 74876 હેક્ટર છે અને ત્યાં વધુ 48700 હેક્ટરનો બફર એરિયા પણ અનામત રખાયેલો છે.
સૂત્રો મુજબ બન્નીનો કુલ વિસ્તાર 3,84,700 હેક્ટર જેટલો છે. તેમાંથી અત્યારે આ 20 હજાર હેક્ટર જગ્યા અલગ તારવાઈ છે, જે ચિત્તા સંવર્ધન કેન્દ્રથી થોડે દૂરના અંતરે છે. 500 કાળિયાર એકસાથે નહીં પણ એક વર્ષમાં તબક્કાવાર ચિત્તા સંવર્ધન કેન્દ્રમાં શિફ્ટ થશે. દરમિયાન બન્નીના ચિત્તા સંવર્ધન કેન્દ્ર ખાતે જ્યાં અત્યાર સુધી ચિત્તલ, કાળિયાર, સાબર વગેરે મળીને 800 જેટલાં તૃણભક્ષી પ્રાણીઓ ચિત્તાના ખોરાક માટે છોડાયાં છે, ત્યાં વધુ 500 કાળિયાર તબક્કાવાર છોડવા કેન્દ્ર સરકારે રાજ્ય વનવિભાગને મંજૂરી આપી છે.

