ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ઘરવાપસી

Wednesday 24th June 2026 06:58 EDT
 
 

બારડોલીઃ સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં ધાર્મિક શુદ્ધિકરણ અને ઘર વાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં વર્ષો અગાઉ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 આદિવાસી લોકોએ સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન હિન્દુ ધર્મમાં પરત ફરીને ઘર વાપસી કરી છે.
માંગરોલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે યજ્ઞ થયો હતો. આ ધાર્મિક શુદ્ધિકરણ યજ્ઞમાં તમામ પરિવારોએ આહુતિ આપીને પોતાના મૂળ ધર્મમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. સ્વધર્મમાં પરત ફરેલા આ 47 લોકોમાં 21 મહિલાઓ અને 20 પુરુષો ઉપરાંત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ પરિવારો મૂળ ડાંગના સુબીર વિસ્તારના વતની છે. જેઓ કોઈને કોઈ કારણોસર અગાઉ ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા હતા. પરંતુ પોતાના મૂળિયા અને સંસ્કૃતિ પ્રત્યેના આકર્ષણને કારણે તેઓએ ફરીથી હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો હતો.
આ વિધિ દરમિયાન માત્ર ધાર્મિક પરિવર્તન જ નહીં પરંતુ સામાજિક સુધારણા તરફ પણ ભાર મૂકવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં પરત ફરેલા તમામ પુરુષો અને અન્ય સભ્યો પાસે જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવા માટેના વ્યસન મુક્તિના પવિત્ર સંકલ્પો પણ લેવડાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ પરિવારોએ હાથ જોડીને મંત્રોચ્ચાર સાથે દાદાના દરબારમાં નવી અને શુદ્ધ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે સ્થાનિક ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqus