બેચરાજીઃ સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના સ્ટોકમાં રૂપિયા પલળી અને સડી ગયા પણ તેનો નિકાલ કરાયો નથી તેવો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોરે શનિવારે યોજાયેલી મહેસાણા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, મંદિરમાં આવેલી પરચૂરણ પણ એટલી બધી છે કે તેનો નિકાલ નથી થતો. વણનોંધાયેલી ચાંદી અને સોના ચાંદીના દાગીના પણ ઘણા છે, પરંતુ તેનો કોઈ હિસાબ કરાતો નથી. અત્યારે હાલ નવું મંદિર બની રહ્યું છે તો તે રૂપિયા અને દાગીનાનો યોગ્ય નિકાલ કરી તે રૂપિયાનો નવા મંદિરની કામગીરીમાં ઉપયોગ થઈ
શકે છે.
ધારાસભ્યે તેમ પણ કહ્યું કે, મંદિરના નાયબ વહીવટદાર સવારે 11:00 વાગ્યે મંદિરમાં આવે છે અને અમુક સમયે કચેરીએ મળતા નથી.
તેમણે આ અંગે જિલ્લા કલેક્ટરને ચાર પાનાંનો પત્ર પણ લખ્યો હતો.
