અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણાં વર્ષોથી સત્તાથી દૂર ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પૂરવા હાઇકમાન્ડે કવાયત હાથ ધરી છે. સૂત્રોના મતે ગુજરાત કોંગ્રેસની કમાન યુવા નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને સોંપાઈ શકે છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને દિલ્લીનું તેડું આવ્યું, ત્યારે બે દિવસથી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. રાહુલ અને ખડગેની હાજરીમાં મળેલી બેઠકમાં કોંગ્રેસમાં મોટા ફેરફાર નક્કી કરાયા છે.
અશોેક ગેહલોત ગુજરાત કોંગ્રેસ પ્રભારી કાળમાં ગુજરાતમાં 70થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. તો વર્ષ 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા અપાવવામાં સચિન પાયલોટની મુખ્ય ભૂમિકા હતી. પાયલોટ રાહુલ ગાંધીના વિશ્વાસુ રહ્યા છે, જેના પગલે તેમને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી શક્યતા છે.

