નવી દિલ્હીઃ ઇરાન યુદ્ધની ભારતની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર માઠી અસર પડી છે. છેલ્લા 3 અઠવાડિયામાં કંપનીએ 2500 કે તેથી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. આ ઉપરાંત ઈધણ મોંઘું થતાં હવાઈ ટિકિટના ભાવ વધારવાની નોબત આવી છે. કંપનીના CEO કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને મોકલેલા સંદેશામાં એરલાઇન્સની હાલની કફોડી સ્થિતિથી માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક એરપોર્ટ અને એર સ્પેસ બંધ થવાથી કંપની ફક્ત 30 ટકાથી 33 ટકા શિડ્યુલ જ જાળવી શકી છે. વિમાનના ઈંધણની કિંમતમાં બમણો વધારો થયો છે, જેની અસર કંપનીના હિસાબોમાં જોવા મળશે. વધી રહેલા ખર્ચને પહોંચી વળવા એરલાઇન્સ દ્વારા નવી ટિકિટો પર ફ્યુઅલ સરચાર્જ લાગુ કરાયો છે.
સરકારે એરલાઇન્સ પરની પ્રાઇસ કેપ હટાવી
યુદ્ધના કારણે વધતા જતા ઊર્જાસંકટ પર વિશ્વભરની નજર છે. આ બધા વચ્ચે એરલાઇન્સને આ સંકટમાંથી ઉગારવા સરકારે રાહત આપતાં ફ્લાઇટ્સની એર ટિકિટ પર લગાવાયેલી કામચલાઉ કિંમતની મર્યાદાને હટાવી લીધી છે.

