ભુજઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારો માટે રાહતના સમાચાર છે. 19 માર્ચે ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ અગરિયાઓને જે નુકસાન કર્યું, તેના નુકસાનની વિગતો મેળવવા સરકારે પ્રથમ વખત સત્તાવાર સરવે હાથ ધર્યો છે. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફે રણના ઝૂંપડે-ઝૂંપડે જઈ સરવેની કામગીરી શરૂ કરી છે. 19 માર્ચે આવેલા વાવાઝોડા-માવઠાએ અગરિયાઓનો કોળિયો ઝૂંટવી લીધો છે. આ આફતના કારણે મીઠાઉદ્યોગને આશરે રૂ. 15થી 20 કરોડનું નુકસાન થયું છે. વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, મીઠાના ઉત્પાદન માટે વપરાતી સોલાર વોટર-પમ્પિંગ સિસ્ટમો સ્ટેન્ડ સાથે ઉખડીને ફંગોળાઈ ગઈ હતી.
