ગીર સોમનાથ જિલ્લાના માછીમારોનું અઢી માસનું વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગત 16 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થઈ ચૂકી છે અને અત્યાર સુધી લગભગ 1600 જેટલા માછીમારો પોતાની બોટ દ્વારા માછીમારી માટે રવાના થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના આગામી દિવસોમાં ડીઝલ - બરફ અને ટોકન મેળવી રવાના થશે. વેરાવળના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ટી.જે. કોટિયાએ જણાવ્યું કે, વેરાવળની કચેરી હેઠળ 7100 જેટલી નાની-મોટી બોટ રજિસ્ટર્ડ છે. માછીમારી કરવા જતા માછીમારોને પણ અપીલ કરવામાં આવી છે કે ફિશિંગ કરવા જતા સમયે રજિસ્ટ્રેશન, લાઇસન્સ તેમજ આઇડી પ્રૂફ સાથે રાખવા ઉપરાંત વાતાવરણ અનુરૂપ હોય ત્યારે જ ફિશિંગ માટે જવું. આ સિવાય લાઇફ સેવિંગ સાધનો પણ સાથે રાખવાં અને ઇન્ટરનેશનલ બોર્ડર પાર ન થાય તેની પણ પૂરતી તકેદારી રાખવી.

