ભુજ: ભુજથી દિલ્હીને જોડતી ત્રીજી અને પહેલી દૈનિક ટ્રેનસેવાને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું હતું. ભુજ સ્ટેશને શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રેય પાંડેય, ડીઆરએમ વેદપ્રકાશ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લીલીઝંડી બતાવી ટ્રેનને દિલ્હી જવા માટે રવાના કરી હતી. વર્ચ્યુઅલી સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જ્યારથી વડાપ્રધાનપદે મોદી આરૂઢ થયા ત્યારથી ગુજરાતમાં રેલવેનો માળખાકીય વિકાસ વેગવંતો બન્યો છે. ડિવિઝનલ રેલવે મેનેજર વેદપ્રકાશે કહ્યું કે, રૂ. 201 કરોડના ખર્ચે એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન ભુજ ખાતે નિર્માણ કરાયું છે. આ રેલવે સ્ટેશનનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં છે.

