મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ના તેમના પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મહેસાણાના બેચરાજી તાલુકાના ચાંગણકી ગામના સામૂહિક રસોડાનાં ભરપેટ વખાણ કર્યાં. વડાપ્રધાને આ રસોડાને સમાજની અસલી શક્તિ દર્શાવતાં કહ્યું કે, ચાંદણકી ગામે છેલ્લાં 15 વર્ષથી આ પરંપરા નિરંતર ચાલી આવે છે, જે એક મિસાલ છે.
જો હું તમને કહું કે, અહીંના લોકો અને તેમાં પણ ખાસ કરીને વડીલો પોતાના ઘરે ભોજન નથી બનાવતા તો આપને આશ્ચર્ય થશે. અને તેનું કારણ છે ગામનું શાનદાર સામૂહિક રસોડું, જેમાં એકસાથે ગામના તમામનું ભોજન એકસાથે બનાવવામાં આવે છે અને એકસાથે મળીને ભોજન ગ્રહણ કરે છે.
છેલ્લાં 15 વર્ષથી આ પરંપરા નિરંતર ચાલતી આવી છે. એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેમના માટે ટિફિન સર્વિસની પણ વ્યવસ્થા છે, એટલે કે ચાલી ન શકતા વડીલો અને દર્દીઓ સુધી હોમ ડિલિવરી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાથી જણાય છે કે આપણા સમાજની શક્તિ શું છે? આ વ્યવસ્થા આપણાં મૂલ્યોનો પણ આઇનો છે, જેમાં એકજૂથ હોવાની ભાવના સર્વોપરિ છે.

