નવી દિલ્હીઃ દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન બાદ એક સરવે સામે આવ્યો છે. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAને લીડ મળતી જોવા મળી રહી છે. ઈન્ડિયા ટુડે અને સી-વોટરના મૂડ ઓફ ધ નેશન (MOTN) સરવેમાં એનડીએને 326 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વના ઈન્ડિયા ગઠબંધનને 185 સીટો મળતી દેખાય છે, જ્યારે અન્ય પક્ષોને 32 સીટો મળવાની વાત કહેવાઈ છે. એટલે કે આ સરવે પરથી સ્પષ્ટ છે કે જો દેશમાં આજે લોકસભાની ચૂંટણી થાય તો કેન્દ્રમાં એનડીએને બહુમતી મળશે.
સરવે અનુસાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે હજુ પણ દેશના 49 ટકા લોકોની પહેલી પસંદ છે, જ્યારે રાહુલ ગાંધીને 27 ટકા સમર્થન મળ્યું છે. ત્રીજા નંબરે તામિલનાડુના સીએમ વિજયનું નામ છે. વિજયને 9 ટકા લોકોનું સમર્થન પ્રાપ્ત છે. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કુલ ચૂંટાયેલી સીટો 543 છે. સરકાર બનાવવા માટે 50 ટકાથી વધુ એટલે કે 272 અથવા તેનાથી વધુ સાંસદોનું સમર્થન જોઈએ. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે લોકસભાની કુલ 543 સીટો પૈકી ઓછામાં ઓછી 272 સીટો હોવી જરૂરી છે.

