મોદી જેન-ઝી અને યુવાઓ સાથે વડોદરામાં વાર્તાલાપ કરશે

Wednesday 02nd September 2026 06:04 EDT
 
 

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં જેન-ઝીના આંદોલન પછી પહેલીવાર 8 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવી રહ્યા છે. એ દિવસે યુવાઓ-વિદ્યાર્થીઓને આકર્ષવા માટે એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાં મોટાપાયે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જેનું સુપરવિઝન હાઇકમાન્ડની સૂચનાથી ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંથવી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમ ક્લોઝ-ડોર રહેશે. લગભગ 6 હજાર માણસોને એકઠા કરવા આયોજન થઈ રહ્યું છે, જેમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓ અને એટલા જ પ્રમાણમાં યંગ પ્રોફેશનલ્સને બોલાવાશે.
આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન વગર પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જો કે 30 ટકા જેટલા ભાજપના યુવા કાર્યકરોને પણ સામેલ કરવા આદેશ થયો છે. સૂત્રો મુજબ પહેલીવાર આ રીતે જેન-ઝી અને યુવાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ શનિવારે રાત્રે કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ 9 વાગ્યે વડોદરા સર્કિટ હાઉસ ખાતે કાર્યક્રમ સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ડીએસપી તેમજ ભાજપના સાંસદો-ધારાસભ્યો હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદી વડોદરાના કાર્યક્રમ બાદ નવસારી જશે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ભાજપના અત્યાધુનિક આલીશાન કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ વડોદરા આવી સાંજે પરત ફરશે.


comments powered by Disqus