નડિયાદ: સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પરમ પૂજ્ય સંતરામ મહારાજના 195મા સમાધિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. આ અવસરે મંદિરના પટાંગણમાં પરંપરાગત રીતે ભવ્ય સાકરવર્ષાનું આયોજન થયું હતું, જેમાં હજારો કિલો સાકર અને કોપરાની પ્રસાદીનો વરસાદ વરસતાં શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાય છે. સાંજે મંદિરના શિખર અને ઝરુખાઓ પરથી સાકર અને સૂકા કોપરાના ટુકડાની વર્ષા શરૂ કરાતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

