પાલિતાણાઃ તીર્થધામ પાલિતાણામાં આવેલા શેત્રુંજય પર્વત પર મુખ્ય દેરાસરમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની કામગીરી દરમિયાન વિધર્મી યુવકો દ્વારા પ્રવેશનો વીડિયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો હતો. આ સંદર્ભે શેત્રુંજય મહાતીર્થમા ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીનો પ્રોજેક્ટ રદ કરાયાની જાહેરાત કરાઈ હતી. શેઠ આણંદજી - કલ્યાણજી પેઢીએ આ અંગે શ્રીસંઘને મિચ્છામી દુક્કડમ પાઠવતાં મામલો થાળે પડ્યો હતો.
બુધવારે વિધર્મી યુવાનો દેરાસરમાં દાખલ થઈને ફોટોગ્રાફી કરતા હોવાની વાત વાયુવેગે ફેલાતા રોષ ફેલાયો હતો જ્યારે બુધવારે આ વીડિયો એઆઈથી જનરેટ કર્યો હોવાનંુ પેઢી દ્વારા જણાવાયું હતુ.
ગુરુવારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ બીજો ખુલાસો કર્યો હતો. જેમાં પેઢીએ સકળ સંઘને મિચ્છામી દુક્કડમ કર્યા હતા. આ સંદર્ભે શેત્રુંજય મહાતીર્થમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો પ્રોજેક્ટ રદ કરાયાની જાહેરાત કરાઈ હતી.
ગુજરાત બહારની કોઈ એજન્સીએ શેત્રુંજયની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી અંગેનો કોન્ટ્રાક્ટ પેઢીની હેડ ઓફિસ અમદાવાદથી મંજૂરી માગી હતી, જેને પ્રોટોકોલ સાથે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ એજન્સી દ્વારા ગર્ભગૃહમાં વીડિયોગ્રાફી કરતાં ત્યાં શ્રાવક શ્રાવિકાઓએ આ વીડીયોગ્રાફી જોતાં તેમણે વિરોધ નોંધાવી પેઢીને આ બાબતે ફરિયાદ કરી હતી.

