અમદાવાદઃ સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેમાં ગીરસોમનાથ અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથના વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ કોડીનાર અને સૂત્રાપાડાનાં અનેક ગામોમાં સાંજે પવન સાથે અડધો કલાક માવઠું પડ્યું હતું. આ માવઠાને કારણે ખેતરોમાં લહેરાતો ઘઉંનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. ગીરની શાન કેસર કેરીમાં અત્યારે મોર આવ્યાં છે, જે પણ ખરી પડવાની અને જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે.
ઉત્તર ગુજરાતમાં પણ 30 જાન્યુઆરીએ માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ઉત્તર ગુજરાતમાં બાયડ અને મોડાસામાં શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે માલપુર, મેઘરજ, પહાડીયા અને રેલ્યોમાં માવઠું થતા ખેડૂતોમાં દોડધામ મચી હતી.
