અમદાવાદઃ વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’માં ક્ષત્રિય સંસ્કૃતિ અને ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાતાં ક્ષત્રિયો રોષે ભરાયા હતા. એટલું જ નહીં તે વખતે ગુજરાતમાં ઉગ્ર આંદોલન થયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન મહેસાણા અને વિજાપુરમાં થયેલા પોલીસ કેસ હવે પાછા ખેંચવામાં આવ્યાં છે.
થોડાક વખત અગાઉ જ પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ કેસો રાજ્ય સરકારે પરત ખેચ્યા હતા. હવે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ થયેલાં પોલીસ કેસો પણ સરકારે પાછા ખેંચ્યા છે. ફિલ્મ પદ્માવતમાં ક્ષત્રિય સંસ્કૃતિ અને ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવતાં ગુજરાતના અમદાવાદ, મહેસાણા અને વિજાપુર સહિતના વિસ્તારોમાં ક્ષત્રિયોએ ઉગ્ર આંદોલન કર્યું હતું, જે મુદ્દે અનેક ક્ષત્રિય યુવાનો પર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ મુદે ક્ષત્રિય ધારાસભ્ય-સામાજિક આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરતાં મહેસાણા-વિજાપુરના કેસ પરત ખેંચાયાં છે, પણ હજુ અમદાવાદમાં થયેલાં કેસો પેન્ડિંગ રહ્યા છે.

