વડોદરાઃ આગામી 11 મેએ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે. ત્યારબાદ વડોદરામાં રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરાશે. બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરામાં રોડ શો યોજે તેવી શક્યતા હોઈ તંત્ર દ્વારા તેની પણ તૈયારી કરવામાં આવી છે.
સોમનાથ-વડોદરાના કાર્યક્રમમાં હાજરી આપશે
ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ સૌપ્રથમ 10 મેએ રાત્રે જામનગર એરપોર્ટ પર આવશે અને રાત્રીરોકાણ પણ જામનગરમાં કરશે. 11 મેએ સવારે તેઓ જામનગરથી સોમનાથ રવાના જશે અને સોમનાથમાં આયોજિત સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે. સોમનાથના કાર્યક્રમ બાદ તેઓ સીધા વડોદરા જશે, જ્યાં રૂ. 150 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે.
પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા પીએમનું સન્માન કરાશે
વડોદરામાં સરદાર ધામ-3ના લોકાર્પણ માટે આવી રહેલા વડાપ્રધાનનું પાટીદાર સમાજ વતી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સન્માન કરાશે. પીએમ મોદીને સરદાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવશે.

