રાજકોટઃ વેરાવળ બંદર ફિશિંગ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ ભારતથી ગત વર્ષે રૂ. 72 હજાર કરોડના સી ફૂડની નિકાસ થઈ છે, જેમાંથી લગભગ રૂ. 6 હજાર કરોડ જેટલી નિકાસ માત્ર ગુજરાતથી થઈ છે.
વેરાવળમાં 100થી વધુ એક્સપોર્ટ યુનિટ
સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રિજિયન)ના સેક્રેટરી નરેશ ગોહેલે જણાવ્યું કે, તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ વર્ષ 2025-26માં ભારતથી રૂ. 72,315 કરોડના લગભગ 19.32 લાખ મેટ્રિક ટન સી ફૂડની નિકાસ થઈ છે. મોટાભાગે આ જથ્થો યુરોપ અને ચીનમાં નિકાસ થાય છે અને તેમાં રિબન ફિશ (બગા), કટલ ફિશ (માકુલ), સ્ક્વિડ (નર્સિંગા)ની વધુ માગ રહે છે. જ્યારે થાઇલેન્ડ અને વિયેતનામમાં ઇન્ડિયન મેકરલ (બાંગડી)ની માગ વધુ છે. છેલ્લા દોઢ માસથી અમેરિકા - ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર ક્યાંક એક્સપોર્ટ ઉદ્યોગ પર થઇ છે, પરંતુ આ એક્સપોર્ટના આંકડા માર્ચ સુધીના હોવાથી તેમાં કોઈ ખાસ અસર જોવા મળી નથી.

