બારડોલીઃ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દેશમાં ટોલ ટેક્સ ઉઘરાવવાની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સ્થાપના દિવસ અને મે મહિનાની શરૂઆત સાથે જ નેશનલ .હાઈવે નં.48 પર સુરત જિલ્લાના ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે દેશની સૌપ્રથમ મલ્ટિ લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ કાર્યરત્ કરવામાં આવી છે.
કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં નેશનલ હાઈવે નં. 48 પર આવેલા ટોલ પ્લાઝા પર અત્યાર સુધી વાહનોને રોકાઈને ફાસ્ટેગ સ્કેન કરાવવું પડતું હતું, જેમાં 20-30 કિ.મી.ની ઝડપે જ વાહન પસાર થઈ શકતું. જો કે આ નવી ટેક્નોલોજીની ખાસિયત એ છે વાહનચાલકોએ ટોલ બૂથ પર ઊભા રહેવાની કે ધીમા પડવાની જરૂર રહેશે નહીં. હાઈવે પર લગાવાયેલા અત્યાધુનિક કેમેરા અને સેન્સર 120 કિ.મી.ની ઝડપે દોડતાં વાહનોના આરએસઆઇડી અને નંબર પ્લેટને આપોઆપ સ્કેન કરી ટોલ ટેક્સ સીધો ખાતામાંથી કાપી લેશે.

