અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં અસંવેદનશીલતાની પરાકાષ્ટા 17/06/2026 6:02 am Vikram Nayak આપણામાં કહેવત છે કે સમય ગમે તેવા કારી ઘાને રુઝવી શકે છે પરંતુ 12 જૂન 2025ના રોજ માત્ર 32 સેકન્ડના ગાળામાં જેમના જીવન વેરવિખેર થઇ ગયાં તેમના ઘા પ્લેન ક્રેશની તપાસમાં થઇ રહેલા વિલંબને કારણે હજુ તાજાને તાજા જ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા કમભાગી પ્રવાસીઓના પીડિત પરિવારજનોની ભાવનાત્મક સ્થિતિ આજે પણ એ જ વળાંક પર ઊભી છે. તેમનો આઘાત એ કોઈ ઈતિહાસનો હિસ્સો નથી જેને ફાઈલ બંધ કરીને મૂકી દેવાય. તે એક જીવતો અને ઘેરો જખમ છે. કોઈ પ્રિયજનને ગુમાવવું એ અત્યંત પીડાદાયક માનવીય અનુભવ છે પરંતુ કોઈ આકસ્મિક, ભયાનક યાંત્રિક અથવા ઓપરેશનલ ખામીને કારણે તેમને ગુમાવવા અને પછી ન્યાય માટે સતત ભટકવું એ પીડાને લાખો ગણી વધારી દે છે. પીડિત પરિવારજનો માટે અનિશ્ચિતતાની સ્થિતિ પીડાને વધુ ગંભીર બનાવી રહી છે. એવિએશન નિયમો અનુસાર આ પ્રકારની મોટી દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ એક વર્ષમાં જાહેર કરી દેવાનો હોય છે પરંતુ ભારતીય એજન્સીના ઠાગાઠૈયા પીડિત પરિવારજનોને એવી અનુભૂતિ કરાવી રહ્યાં છે કે ભારતનું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો તેની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે.